બૌદ્ધ માર્ગ પર પ્રારંભ કરતા પહેલા સલાહ

બૌદ્ધ ધર્મ રોજિંદા જીવનના પડકારોનો સામનો કરવામાં મુશ્કેલીઓ ટાળવા માટે વ્યવહારિક નિવારક પગલાં લેવાનું શીખવે છે. તે આપણા મૂંઝવણભર્યા વિચારો અને આપણા અવાસ્તવિક વલણમાં આપણી સમસ્યાઓના સ્ત્રોતને જુએ છે જે આપણી ભાવનાત્મક ઉદાસી અને ફરજિયાત વર્તનને ચલાવે છે. વિચાર અને વર્તનની આપણી રીઢો નિષ્ક્રિય રીતોનો સામનો કરવા માટે ધ્યાન દ્વારા અને વધુ પ્રેમાળ અને સકારાત્મક બની ગયેલા અન્ય લોકો પાસેથી પ્રેરણા લઈને, આપણે આપણા રોજિંદા જીવનની ગુણવત્તા સુધારવા માટે આપણા મનને બદલી શકીએ છીએ.

જો આપણે સમજવું હોય કે બૌદ્ધ ધર્મ શું છે અને તે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પડે છે, તો એક સારો સ્થળ છે એ જોવું કે બૌદ્ધ ઉપદેશો અને આચરણ માટે વપરાતા જે પરંપરાગત શબ્દ છે એનો અર્થ શું છે: ધર્મ. "ધર્મ" એ સંસ્કૃત શબ્દ છે જેનો શાબ્દિક અર્થ થાય છે "નિવારક પગલાં." તે કંઈક છે જે આપણે સમસ્યાઓ ટાળવા માટે કરીએ છીએ. જો આપણે તે સમજીએ, તો આપણે બુદ્ધે જે શીખવ્યું તે બધા પાછળનો હેતુ સમજીએ છીએ.

નિવારક પગલાં લેવામાં રસ ધરાવવા માટે, આપણે એ જોવાની જરૂર છે કે જીવનમાં સમસ્યાઓ છે. તે ખરેખર ઘણી હિંમત લે છે. ઘણા લોકો પોતાને કે તેમના જીવનને ગંભીરતાથી લેતા નથી. તેઓ આખો દિવસ ખૂબ જ સખત મહેનત કરે છે અને પછી તેઓ થાકેલા હોવાને કારણે સાંજે મનોરંજન વગેરેથી વિચલિત થાય છે. તેઓ ખરેખર તેમના જીવનની સમસ્યાઓને અંદરથી જોતા નથી. જો તેઓ તેમની સમસ્યાઓને જુએ તો પણ, તેઓ ખરેખર સ્વીકારવા માંગતા નથી કે તેમનું જીવન સંતોષકારક નથી કારણ કે તે ખૂબ નિરાશાજનક હશે. આપણા જીવનની ગુણવત્તાને ખરેખર તપાસવા માટે અને જ્યારે આપણને તે અસંતોષકારક લાગે ત્યારે પ્રમાણિકપણે સ્વીકારવા માટે હિંમતની જરૂર છે.

અસંતોષકારક પરિસ્થિતિઓ અને તેના કારણો

અલબત્ત, અસંતુષ્ટિ ના સ્તરો છે. આપણે કહી શકીએ, "ક્યારેક મારો મનોભાવ ખરાબ હોય છે અને કેટલીકવાર વસ્તુઓ સારી થઈ જાય છે, પરંતુ તે ઠીક છે. આ જ જીવન છે." જો આપણે તેનાથી સંતુષ્ટ હોઈએ તો સારું. જો આપણને થોડી આશા હોય કે આપણે વસ્તુઓને થોડી સારી બનાવી શકીએ, તો તે આપણને આમ કરવા માટેનો માર્ગ શોધવા તરફ દોરી જાય છે. આપણા જીવનની ગુણવત્તા સુધારવા માટેની પદ્ધતિઓ શોધવા માટે આપણે આપણી સમસ્યાઓના સ્ત્રોતને ઓળખવાની જરૂર છે. મોટાભાગના લોકો તેમની સમસ્યાઓના સ્ત્રોત માટે બાહ્ય રીતે જુએ છે. “તમારા કારણે મને તમારી સાથેના સંબંધમાં મુશ્કેલી પડી રહી છે! તમે એ રીતે વર્તતા નથી જે રીતે હું ઈચ્છું છું કે તમે વર્તો." આપણે આપણી મુશ્કેલીઓને રાજકીય અથવા આર્થિક પરિસ્થિતિ પર પણ દોષી ઠેરવીએ છીએ. મનોવિજ્ઞાનની કેટલીક શાળાઓ અનુસાર, આપણને જે સમસ્યાઓ આવી છે તેના કારણો માટે આપણે આપણા બાળપણમાં થતી આઘાતજનક ઘટનાઓ તરફ ધ્યાન આપી શકીએ છીએ. આપણા દુ:ખનો દોષ બીજાઓ પર મૂકવો ખૂબ જ સરળ છે. અન્ય લોકો અથવા સામાજિક અથવા આર્થિક પરિબળો પર દોષ મૂકવો એ ખરેખર ઉકેલ તરફ દોરી જતું નથી. જો આપણી પાસે આ વૈચારિક માળખું હોય, તો આપણે કદાચ ક્ષમાશીલ હોઈશું અને તેનો થોડો ફાયદો પણ થઈ શકે છે, પરંતુ મોટાભાગના લોકોને લાગે છે કે માત્ર આટલું જ કરવાથી તેઓને તેમની માનસિક સમસ્યાઓ અને દુ:ખમાંથી મુક્તિ મળી નથી.

બૌદ્ધ ધર્મ કહે છે કે જો કે અન્ય લોકો, સમાજ વગેરે આપણી સમસ્યાઓમાં ફાળો આપે છે, તેઓ ખરેખર તેનો સૌથી ઊંડો સ્ત્રોત નથી. આપણી મુશ્કેલીઓના સૌથી ઊંડા સ્ત્રોતને શોધવા માટે આપણે અંદર જોવાની જરૂર છે. છેવટે, જો આપણે જીવનમાં નાખુશ અનુભવીએ છીએ, તો તે આપણી પરિસ્થિતિનો પ્રતિભાવ છે. જુદા જુદા લોકો એક જ પરિસ્થિતિને અલગ રીતે પ્રતિભાવ આપે છે. જો આપણે ફક્ત આપણી જાતને જોઈએ તો પણ આપણે જોઈએ છીએ કે આપણે એક દિવસથી બીજા દિવસે મુશ્કેલીઓનો અલગ રીતે પ્રતિભાવ આપીએ છીએ. જો સમસ્યાનો સ્ત્રોત ફક્ત બાહ્ય પરિસ્થિતિ હોત, તો આપણે હંમેશા તે જ રીતે પ્રતિભાવ આપવો જોઈએ, પરંતુ આપણે નથી કરતા. આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ તેના પર અસર કરતા પરિબળો છે, જેમ કે કામ પર સારો દિવસ, પરંતુ આ માત્ર ઉપરછલ્લી ફાળો આપતા પરિબળો છે. તેઓ પૂરતા ઊંડાણમાં જતા નથી.

જો આપણે જોઈએ, તો આપણે જોવાનું શરૂ કરીએ છીએ કે જીવન પ્રત્યેનું આપણું વલણ, આપણી જાત અને આપણી પરિસ્થિતિઓ આપણને કેવું લાગે છે તેમાં ઘણો ફાળો આપે છે. ઉદાહરણ તરીકે, આપણે પોતા માટે દરેક સમયે દિલગીર નથી અનુભવતા, જેમ કે જ્યારે આપણો દિવસ સારો હોય છે; પરંતુ જ્યારે આપણો દિવસ સારો ન હોય, ત્યારે આત્મ-દયાની લાગણી ફરી આવે છે. જીવન પ્રત્યે આપણી જે મૂળભૂત વલણ છે તે આપણે જીવનને કેવી રીતે અનુભવીએ છીએ તેને આકાર આપે છે. જો આપણે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરીએ, તો આપણને જણાય છે કે આપણું વલણ મૂંઝવણ પર આધારિત છે.

સમસ્યાઓના સ્ત્રોત તરીકે મૂંઝવણ

જો આપણે મૂંઝવણનું અન્વેષણ કરીએ, તો આપણે જોઈએ છીએ કે તેનું એક પાસું વર્તનના કારણ અને અસર વિશે મૂંઝવણ છે. શું કરવું કે કહેવું અને પરિણામે શું થશે તે અંગે આપણે મૂંઝવણમાં છીએ. આપણે કેવા પ્રકારની નોકરી કરવી, શું લગ્ન કરવા જોઈએ, શું બાળકો પેદા કરવા જોઈએ વગેરે બાબતે ખૂબ જ મૂંઝવણમાં હોઈએ છીએ. જો આપણે કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધીએ તો પરિણામ શું આવશે? આપણે જાણતા નથી. આપણી પસંદગીઓમાંથી શું અનુસરશે તે અંગેના આપણા વિચારો ખરેખર માત્ર કલ્પનાઓ છે, કાં તો ઈચ્છાપૂર્ણ વિચારસરણી અથવા ડર અને પેરાનોઈયા પર આધારિત છે. આપણે વિચારી છીએ કે જો આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે ગાઢ સંબંધ બાંધીશું, તો કદાચ આપણે પરીકથાની જેમ સુખેથી જીવીશું. અથવા આપણને ડર લાગે છે કે તેઓ આપણને છોડી દેશે, અને તેથી આપણે ભાવનાત્મક અંતર રાખીએ છીએ. જો આપણે કોઈ પરિસ્થિતિમાં ઉદાસ હોઈએ, તો આપણને લાગે છે કે બૂમો પાડવાથી તે સારું થઈ જશે. આપણે જે કરીએ છીએ તેના પર બીજું વ્યક્તિ કેવો પ્રતિભાવ આપશે તે અંગે આપણને ખૂબ જ મૂંઝવણભર્યો વિચાર છે. આપણે વિચારીએ છીએ કે જો આપણે બૂમો પાડીએ અને આપણા મનની વાત કરીએ, તો આપણને સારું લાગશે અને બધું બરાબર થઈ જશે, પણ બધું બરાબર નહીં થાય. આપણે જાણવા માંગીએ છીએ કે શું થશે. આપણે જ્યોતિષ શાસ્ત્રને સખત રીતે જોઈએ છીએ અથવા ધ બુક ઓફ ચેન્જીસ, આઈ ચિંગ માટે સિક્કા ફેંકીએ છીએ. શા માટે આપણે આવી વસ્તુઓ કરીએ છીએ? આપણે શું થાય છે તેના નિયંત્રણમાં રહેવા માંગીએ છીએ.

બૌદ્ધ ધર્મ કહે છે કે ઊંડું સ્તરનું મૂંઝવણ આપણે અને અન્ય લોકો કેવી રીતે અસ્તિત્વમાં છે અને વિશ્વ કેવી રીતે અસ્તિત્વમાં છે તે વિશે મૂંઝવણ છે. આપણે નિયંત્રણના સમગ્ર મુદ્દાને લઈને મૂંઝવણમાં છીએ. આપણને લાગે છે કે આપણી સાથે જે થાય છે તેના પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું શક્ય છે. દાખલા તરીકે, આપણે કદાચ વિચારીએ છીએ કે જો આપણે બીજા કોઈને આપણું કમ્પ્યુટર વાપરવા ન દઈએ, તો તે ક્યારેય ક્રેશ થશે નહીં. તેના કારણે, જ્યારે આપણી અપેક્ષા મુજબ વસ્તુઓ ન થાય ત્યારે આપણે હતાશ થઈએ છીએ. હંમેશા નિયંત્રણમાં રહેવું શક્ય નથી. તે વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા ખૂબ જટિલ છે. જે થાય છે તેને ઘણી બાબતો પ્રભાવિત કરે છે, ફક્ત આપણે જે કરીએ છીએ તે જ નહીં. એવું નથી કે આપણે સંપૂર્ણપણે નિયંત્રણ બહાર છીએ અથવા બાહ્ય શક્તિઓ દ્વારા ચાલાકી કરવામાં આવી છે. શું થાય છે તેમાં આપણે ફાળો આપીએ છીએ, પરંતુ શું થાય છે તે નિર્ધારિત કરનાર એકમાત્ર પરિબળ આપણે નથી.

આપણી મૂંઝવણ અને અસુરક્ષાને કારણે, આપણે ઘણીવાર વિનાશક વર્તન કરીએ છીએ તે જાણ્યા વિના પણ કે આપણે વિનાશક વર્તન કરીએ છીએ. આ એટલા માટે છે કારણ કે આપણે ખલેલ પહોંચાડતી લાગણીઓ, ખલેલ પહોંચાડતી વલણ અને આપણા આદત વર્તનની ફરજિયાતતાના પ્રભાવ હેઠળ છીએ. આપણે માત્ર અન્યો પ્રત્યે વિનાશક વર્તન નથી કરતા; આપણે મુખ્યત્વે સ્વ-વિનાશક રીતે પણ કાર્ય કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે આપણા માટે વધુ સમસ્યાઓ ઊભી કરીએ છીએ. જો આપણે ઓછી સમસ્યાઓ અથવા આપણી સમસ્યાઓમાંથી મુક્તિ ઇચ્છતા હોઈએ, અથવા તેનાથી પણ આગળ, અન્ય લોકોને તેમની સમસ્યાઓમાંથી બહાર નીકળવામાં મદદ કરવાની ક્ષમતા, તો આપણે આપણી મર્યાદાઓના સ્ત્રોતને સ્વીકારવાની જરૂર છે.

આપણી જાતને મૂંઝવણમાંથી મુક્ત કરવા

ચાલો કહીએ કે આપણે ઓળખી શકીએ છીએ કે આપણી સમસ્યાઓનું મૂળ મૂંઝવણ છે. આ બહુ મુશ્કેલ નથી. ઘણા લોકો એવું કહેવા સુધી પહોંચે છે કે, “હું ખરેખર મૂંઝવણમાં છું. હું ગડબડ માં છું." પછી શું? આપણે જઈએ અને આ કોર્સ અથવા તે એકાંતવાસ પર પૈસા ખર્ચીએ તે પહેલાં, આપણે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે શું આપણને ખરેખર ખાતરી છે કે આપણી મૂંઝવણમાંથી છૂટકારો મેળવવો શક્ય છે. જો આપણને નથી લાગતું કે મૂંઝવણમાંથી છૂટકારો મેળવવો શક્ય છે, તો આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? જો આપણે ફક્ત એવી આશા સાથે જઈએ કે આપણી મૂંઝવણમાંથી છૂટકારો મેળવવો શક્ય છે, તો તે ખૂબ સ્થિર નથી. તે ઈચ્છાપૂર્ણ વિચાર છે.

આપણે વિચારી શકીએ છીએ કે સ્વતંત્રતા ઘણી રીતે આવી શકે છે. આપણે વિચારી શકીએ કે કોઈ આપણને બચાવશે. તે ઈશ્વર જેવું કોઈ ઉચ્ચ, દૈવ આકૃતિ હોઈ શકે છે, અને તેથી આપણે ફરીથી જન્મેલા વિશ્વાસીઓ બનીએ છીએ. વૈકલ્પિક રીતે, આપણે આપણી મૂંઝવણમાંથી આપણને બચાવવા માટે આધ્યાત્મિક શિક્ષક, સાથી અથવા અન્ય કોઈની તરફ જોઈ શકીએ છીએ. આવી પરિસ્થિતિઓમાં, એ બીજા વ્યક્તિ પર નિર્ભર થવું અને અપરિપક્વ વર્તન કરવું સરળ છે. આપણે ઘણીવાર પોતાને બચાવવા માટે કોઈને શોધવા માટે એટલા તલપાપડ હોઈએ છીએ કે આપણે કોની તરફ વળીએ છીએ તેમાં અંધાધૂંધ છીએ. આપણે કદાચ એવા વ્યક્તિને પસંદ કરીએ કે જે પોતે મૂંઝવણથી મુક્ત ન હોય અને જે તેની પોતાની ખલેલ પહુંચાડતી લાગણીઓ અને વલણને લીધે, આપણી નિષ્કપટ નિર્ભરતાનો લાભ લે. આગળ વધવાની આ એક સ્થિર રીત નથી. આપણી બધી મૂંઝવણોને દૂર કરવા માટે આપણે કોઈ આધ્યાત્મિક શિક્ષક અથવા સંબંઘી તરફ જોઈ શકતા નથી. આપણે આપણી પોતાની મૂંઝવણ દૂર કરવી પડશે.

આધ્યાત્મિક શિક્ષક અથવા જીવનસાથી સાથેનો સંબંધ મદદરૂપ સંજોગો પ્રદાન કરી શકે છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે સંબંધ સ્વસ્થ હોય. જ્યારે તે અસ્વસ્થ હોય છે, ત્યારે તે તેને વધુ ખરાબ બનાવે છે. તે વધુ મૂંઝવણ તરફ દોરી જાય છે. શરૂઆતમાં, આપણે અસ્વીકારની ઊંડી સ્થિતિમાં હોઈ શકીએ છીએ, એવું વિચારીને કે શિક્ષક સંપૂર્ણ છે, જીવનસાથી સંપૂર્ણ છે; પરંતુ આખરે આપણી નિષ્કપટતા ધીમે ધીમે ઘટે છે. જ્યારે આપણે બીજી વ્યક્તિની નબળાઈઓ  અને તે વ્યક્તિ આપણને આપણી બધી મૂંઝવણોમાંથી બચાવી શકતી નથી તે જોવાનું શરૂ કરીએ છીએ કે, ત્યારે આપણે તૂટી જઈએ છીએ. આપણે દગો અનુભવીએ છીએ. આપણા વિશ્વાસ અને ભરોસા સાથે દગો કરવામાં આવ્યો છે. તે એક ભયંકર ભાવના છે! શરૂઆતથી તેને ટાળવાનો પ્રયાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે નિવારક પગલાં લેવાની જરૂર છે. આપણે સમજવાની જરૂર છે કે શું શક્ય છે અને શું નથી. આધ્યાત્મિક શિક્ષક શું કરી શકે અને આધ્યાત્મિક શિક્ષક શું ન કરી શકે? તૂટી ન જીએ તે માટે આપણે નિવારક પગલાં લઈએ છીએ.

આપણે મૂંઝવણ મુક્ત મનની સ્થિતિ વિકસાવવાની જરૂર છે. મૂંઝવણ, થી વિપરીત, સમજણ, મૂંઝવણ ને ઉભા થવાથી નિવારક કરશે. આપણા વલણ, આપણી ખલેલ પહોંચાડતી લાગણીઓ અને આપણા આવેગજન્ય, અનિવાર્ય અથવા ન્યુરોટિક વર્તન પ્રત્યે આત્મનિરીક્ષણ અને સચેત રહેવું બૌદ્ધ ધર્મમાં આપણું કાર્ય છે. તેનો અર્થ એ છે કે આપણી જાતમાં એવી વસ્તુઓ જોવા માટે તૈયાર રહેવું કે જે એટલી સરસ નથી, જે વસ્તુઓને આપણે નકારવું પસંદ કરીએ છે. જ્યારે આપણે એવી બાબતોની નોંધ કરીએ છીએ જે આપણી સમસ્યાઓનું કારણ બની રહી છે અથવા આપણી સમસ્યાઓના લક્ષણો છે, ત્યારે આપણે તેના પર કાબુ મેળવવા માટે વિરોધીઓને લાગુ કરવાની જરૂર છે. આ બધું ભણતર અને ધ્યાન પર આધારિત છે. આપણે ખલેલ પહુંચાડતી લાગણીઓ અને વલણો અને તે ક્યાંથી આવે છે તે ઓળખવાનું શીખવાની જરૂર છે.

ધ્યાન

ધ્યાનનો અર્થ એ છે કે આપણે વિવિધ વિરોધીઓને નિયંત્રિત પરિસ્થિતિમાં લાગુ કરવાની અભ્યાસ કરીએ છીએ જેથી આપણે તેમને કેવી રીતે લાગુ કરવું તેનાથી પરિચિત થઈએ અને પછી વાસ્તવિક જીવનમાં તે કરી શકીએ. ઉદાહરણ તરીકે, જો આપણે અન્ય લોકો સાથે ગુસ્સે થઈએ છીએ જ્યારે તેઓ આપણે ઈચ્છીએ છીએ તેવું વર્તન કરતા નથી, તો ધ્યાન દરમિયાન આપણે આ પરિસ્થિતિઓ વિશે વિચારીએ છીએ અને તેમને અલગ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરીએ છીએ. બીજું વ્યક્તિ ઘણા જુદા જુદા કારણોસર અસંમત રીતે વર્તે છે. જરૂરી નથી કે તે અથવા તેણી  દ્વેષથી કામ કરે છે કારણ કે તે અથવા તેણી આપણને પ્રેમ કરતા નથી. ધ્યાનમાં, આપણે આવા વલણને ઓગળવાનો પ્રયાસ કરીએ છીએ: "મારો મિત્ર હવે મને પ્રેમ કરતો નથી કારણ કે તેણે મને ફોન નહીં કર્યો."

જો આપણે આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવાની અભ્યાસ વધુ હળવા, સમજદાર અને ધીરજ સાથે કરી શકીએ, તો જો તે વ્યક્તિ આપણને એક અઠવાડિયા સુધી ફોન ન કરે, તો આપણે એટલા ઉદાસ થતા નથી. જ્યારે આપણે ઉદાસ થવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણે યાદ રાખીએ છીએ કે આ વ્યક્તિ કદાચ ખૂબ જ વ્યસ્ત છે અને તેના જીવનમાં આપણે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છીએ તે વિચારવું અહંકારયુક્ત છે. આ આપણને આપણી ભાવનાત્મક ઉદાસીને ઠંડુ કરવામાં મદદ કરે છે.

બૌદ્ધ પ્રથા એ પૂર્ણ-સમયની નોકરી છે

બૌદ્ધ પ્રથા એ શોખ નથી. તે એવી વસ્તુ નથી જે આપણે રમતગમત અથવા આરામ માટે કરીએ છીએ. બૌદ્ધ પ્રથા એ પૂર્ણ-સમયની નોકરી છે. આપણું કામ આપણા જીવનમાં દરેક વસ્તુ પ્રત્યેના આપણા વલણ પર કામ કરવાનું છે. જો આપણે બધા જીવો માટે પ્રેમ વિકસાવવા પર કામ કરી રહ્યા છીએ, ઉદાહરણ તરીકે, આપણે તેને આપણા પરિવારોમાં લાગુ કરવાની જરૂર છે. ઘણા લોકો તેમના ઓરડામાં બેસીને પ્રેમનું ધ્યાન કરે છે, પરંતુ તેઓ તેમના માતા-પિતા અથવા તેમના જીવનસાથી સાથે મેળ નથી. આ દુઃખદ છે.

ચરમસીમાઓને ટાળવા

બૌદ્ધ ઉપદેશોને ઘર અને કાર્યસ્થળે આપણા વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં લાગુ કરવાના પ્રયાસમાં, આપણે ચરમસીમાઓને ટાળવાની જરૂર છે. આત્યંતિક એક ધ્રુવ સમગ્ર દોષ બીજાઓ પર નાખવો છે. બીજી આત્યંતિક બાબત એ છે કે આખો દોષ આપણા પર ઢોળવો. જીવનમાં જે બને છે તે ખૂબ જટિલ છે. બંને પક્ષો ફાળો આપે છે: અન્યો ફાળો આપે છે; આપણે ફાળો આપીએ છીએ. આપણે અન્ય લોકોનું વર્તન અને વલણ બદલવાનો પ્રયાસ કરી શકીએ છીએ, પરંતુ આપણે બધા વ્યક્તિગત અનુભવથી જાણીએ છીએ કે તે ખૂબ સરળ નથી - ખાસ કરીને જો આપણે સ્વ-પ્રમાણિક, પવિત્ર માર્ગે આવીએ અને બીજા પર પાપી હોવાનો આરોપ લગાવીએ. આપણી જાતને બદલવાનો પ્રયાસ કરવો વધુ સરળ છે. જો કે આપણે અન્ય લોકોને સૂચનો આપી શકીએ છીએ જો તેઓ સ્વીકાર્ય હોય અને જો તેઓ આપણા સૂચનોને કારણે વધુ આક્રમક ન બને, પરંતુ બહુમત કાર્ય આપણા પર છે.

આપણી જાત પર કામ કરતી વખતે, આપણે ચરમસીમાઓની બીજી જોડી પર ધ્યાન આપવું પડશે: આપણી લાગણીઓ સાથે સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેવું અથવા તેનાથી બિલકુલ વાકેફ ન હોવું. પહેલું છે નાર્સિસ્ટિક વ્યસ્તતા. આપણે જે અનુભવીએ છીએ તેની જ ચિંતા કરીએ છીએ. અન્ય લોકો શું અનુભવે છે તેની આપણે અવગણના કરીએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે આપણે જે અનુભવીએ છીએ તે અન્ય લોકો શું અનુભવે છે તેના કરતા વધુ મહત્વનું છે. બીજી બાજુ, આપણે આપણી લાગણીઓથી સંપૂર્ણપણે દૂર હોઈ શકીએ છીએ અથવા તો કશું જ અનુભવતા નથી, જાણે કે આપણી લાગણીઓને નોવોકેઈન ચઢાવ્યું હોય. આ ચરમસીમાઓને ટાળવા માટે નાજુક સંતુલનની જરૂર છે. તે એટલું સરળ નથી.

જો આપણે હંમેશા અન્ય લોકો સાથે હોય ત્યારે આપણી જાતને જોતા હોઈએ, તો તે એક કાલ્પનિક દ્વૈતતા બનાવે છે - આપણી જાતને અને આપણે શું અનુભવીએ છીએ અથવા કરી રહ્યા છીએ - અને તેથી આપણે ખરેખર કોઈની સાથે સંબંધ રાખવા અથવા કોઈની સાથે રહેવામાં નથી. વાસ્તવિક કળા કુદરતી અને નિષ્ઠાવાન રીતે સંબંધ બાંધવી અને કાર્ય કરવાની છે, જ્યારે આપણા ધ્યાનનો એક ભાગ આપણી પ્રેરણા અને વલણ પર હોય છે. આપણે આ કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે, જો કે, તે અભિનયની એવી ખંડિત રીત ન હોવી જોઈએ કે આપણે બીજા વ્યક્તિ સાથે હાજર ન હોઈએ. જો આપણે કોઈની સાથે સંબંધ બાંધવાની પ્રક્રિયા દરમિયાન આપણી પ્રેરણા અને લાગણીઓ તપાસતા હોઈએ, તો કોઈક વખત તે વ્યક્તિને જણાવવું મદદરૂપ થાય છે. જો કે, તે ખૂબ જ નાર્સિસિસ્ટિક છે કે આપણે વ્યક્તિને કહેવું પડશે. ઘણી વાર, અન્ય લોકોને આપણે જે અનુભવીએ છીએ તેમાં રસ નથી. તેઓ જાણવા માગે છે એવું લાગવું ખૂબ જ સ્વ-મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે જોઈએ કે આપણે સ્વાર્થી વર્તન કરવાનું શરૂ કરી રહ્યા છીએ, ત્યારે આપણે તેને રોકી શકીએ છીએ. આપણે તેની જાહેરાત કરવાની જરૂર નથી.

બે ચરમસીમાનો બીજો સમૂહ એ છે કે આપણે પૂર્ણ ખરાબ છીએ કે પૂર્ણ સારા છીએ. જો આપણે આપણી મુશ્કેલીઓ, આપણી સમસ્યાઓ અને આપણી ખલેલ પહુંચાડતી લાગણીઓ પર વધુ ભાર મૂકીએ, તો આપણને એવું લાગવા માંડશે કે આપણે ખરાબ વ્યક્તિ છીએ. તે ખૂબ જ સરળતાથી અપરાધમાં અધોગતિ કરે છે. “મારે અભ્યાસ કરવી જોઈએ. જો હું ન કરું, તો હું ખરાબ વ્યક્તિ છું." અભ્યાસ માટે આ એક ખૂબ જ ન્યુરોટિક આધાર છે.

આપણે અન્ય આત્યંતિકતાને પણ ટાળવાની જરૂર છે, જે આપણી સકારાત્મક બાજુઓ પર ખૂબ ભાર મૂકે છે. “આપણે બધા સંપૂર્ણ છીએ. આપણે બધા બુદ્ધ છીએ. બધું અદ્ભુત છે.” આ ખૂબ જ ખતરનાક છે, કારણ કે તે સૂચવે છે કે આપણે કંઈપણ છોડવાની જરૂર નથી; આપણે કોઈપણ નકારાત્મકતાને રોકવાની જરૂર નથી કારણ કે આપણે ફક્ત આપણા મૂળભૂત સારા ગુણો જોવાની જરૂર છે. "હું અદ્ભુત છું. હું સંપૂર્ણ છું. મારે મારા નકારાત્મક વર્તનને રોકવાની જરૂર નથી. હું પહેલેથી જ બુદ્ધ છું!" આપણને સંતુલનની જરૂર છે. જો આપણે આપણી જાત પર ખૂબ જ નીચું અનુભવીએ છીએ, તો આપણે આપણી જાતને બધી ખામીઓમાંથી મુક્ત કરવાની અને બુદ્ધ બનવાની આપણી ક્ષમતાને યાદ કરાવવાની જરૂર છે; જો આપણે થોડી વધુ બેપરવા અનુભવીએ છીએ, તો આપણે આપણી નકારાત્મક બાજુઓ પર ભાર મૂકવાની જરૂર છે.

જવાબદારી લેવી

મૂળભૂત રીતે, આપણે આપણી જાતને જવાબદારી લેવાની જરૂર છે: આપણા વિકાસ માટે અને આપણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે. અલબત્ત, આપણને મદદની જરૂર છે. આ જાતે કરવું સહેલું નથી. આપણે આધ્યાત્મિક શિક્ષકો અથવા આપણા આધ્યાત્મિક સમુદાય પાસેથી મદદ મેળવી શકીએ છીએ, જેઓ સમાન વિચાર ધરાવતા હોય અને જેઓ પોતાની જાત પર કામ કરતા હોય અને તેમની સમસ્યાઓ માટે એકબીજાને દોષ આપતા નથી. તેથી જ ભાગીદારીમાં, સમાન પ્રકારનું વલણ હોવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જે કોઈપણ સમસ્યાઓ ઊભી થાય છે તેના માટે બીજાને દોષ ન આપો. જો બંને ભાગીદારો એકબીજા પર દોષારોપણ કરતા હોય, તો તે બિલકુલ કામ કરતું નથી. જો ફક્ત એક જ ભાગીદાર પોતાના પર કામ કરી રહ્યો હોય અને બીજો ફક્ત દોષારોપણ કરી રહ્યો હોય, તો તે પણ કામ કરતું નથી. જો આપણે પહેલાથી જ એવા સંબંધમાં છીએ જેમાં બીજું વ્યક્તિ આરોપ લગાવે છે, પરંતુ આપણે તે શોધી રહ્યા છીએ કે આપણે શું યોગદાન આપીએ છીએ  તો તેનો અર્થ એ નથી કે આપણે સંબંધ તોડવાની જરૂર છે, પરંતુ તે વધુ મુશ્કેલ છે. આપણે આ સંબંધમાં શહીદ બનવાનું ટાળવાનો પ્રયાસ કરવો પડશે: “હું આ બધું સહન કરું છું! આ ખૂબ મુશ્કેલ છે! ” આખી વસ્તુ ખૂબ ન્યુરોટિક હોઈ શકે છે.

પ્રેરણા પ્રાપ્તિ

બૌદ્ધ માર્ગ સરળ નથી. તે જીવનની કુરૂપતા સાથે વ્યવહાર કરે છે. આપણે આગળ વધવા માટે અમુક પ્રકારની તાકાતની જરૂર છે; આપણને પ્રેરણાના સ્થિર સ્ત્રોતની જરૂર છે. જો આપણી પ્રેરણાનો સ્ત્રોત શિક્ષકો છે જે ચમત્કારોની અદ્ભુત વાર્તાઓ કહે છે અને આ બધી વસ્તુઓ - પોતાના વિશે અથવા બૌદ્ધ ઇતિહાસમાં અન્ય લોકો વિશે - તે પ્રેરણાનો ખૂબ સ્થિર સ્ત્રોત નથી. તે ચોક્કસપણે ખૂબ જ ઉત્તેજક હોઈ શકે છે, પરંતુ આપણે તપાસ કરવી પડશે કે આ આપણને કેવી રીતે અસર કરી રહ્યું છે. ઘણા લોકોમાં, તે એક કાલ્પનિક વિશ્વને પ્રબલિત બનાવે છે જેમાં આપણે ચમત્કારો દ્વારા મુક્તિની ઇચ્છા રાખીએ છીએ. આપણે કલ્પના કરીએ છીએ કે કોઈ ભવ્ય જાદુગર આપણને તેની ચમત્કારિક શક્તિઓથી બચાવશે અથવા તો આપણે અચાનક જ આ ચમત્કારિક વસ્તુઓનો વિકાસ કરી શકીશું. આ અદ્ભુત વાર્તાઓના સંદર્ભમાં આપણે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. તેઓ આપણી શ્રદ્ધા વગેરેને પ્રેરણા આપી શકે છે, અને તે મદદરૂપ થઈ શકે છે, પરંતુ તે પ્રેરણાનો સ્થિર આધાર નથી. આપણને સ્થિર આધારની જરૂર છે.

એક સંપૂર્ણ ઉદાહરણ ખુદ બુદ્ધનું છે. બુદ્ધે લોકોને "પ્રેરણા" આપવાનો કે અદ્ભુત વાર્તાઓ કહીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે આસપાસ જઈને અને લોકોને આશીર્વાદ આપીને અને તેના જેવી સામગ્રીને પ્રસારિત કરી ન હતી. બુદ્ધે સમગ્ર બૌદ્ધ ઉપદેશોમાં પુનરાવર્તિત કરેલ સામ્યતા એ છે કે બુદ્ધ સૂર્ય સમાન છે. સૂર્ય લોકોને હૂંફ કરવાનો પ્રયાસ કરતો નથી. સ્વાભાવિક રીતે, સૂર્ય જે રીતે છે, તે દરેકને સ્વયંભૂ હૂંફ લાવે છે. જો કે આપણે કોઈ અદ્ભુત વાર્તા સાંભળીને અથવા મૂર્તિ સાથે માથા પર સ્પર્શ કરીને અથવા ગળામાં બાંધવા માટે લાલ દોરો મેળવવાથી ઉત્તેજીત થઈ શકીએ છીએ, તે સ્થિર નથી. પ્રેરણાનો સ્થિર સ્ત્રોત એ છે જે રીતે શિક્ષક સ્વયંભૂ અને સ્વાભાવિક રીતે વ્યક્તિ તરીકે છે - તેનું પાત્ર, બૌદ્ધ ઉપદેશોનું પાલન કરવાના પરિણામે તે જે રીતે છે. આ તે છે જે પ્રેરણાદાયી છે, કોઈ અભિનય નથી કે જે વ્યક્તિ આપણું મનોરંજન કરવા માટે મૂકે છે. જો કે આ એક કાલ્પનિક વાર્તા જેટલી રોમાંચક ન હોઈ શકે, તે આપણને પ્રેરણાની સ્થિર સમજ આપશે.

જેમ જેમ આપણે પ્રગતિ કરીએ છીએ તેમ, આપણે આપણી પોતાની પ્રગતિમાંથી પ્રેરણા મેળવી શકીએ છીએ - ચમત્કારિક શક્તિઓ મેળવવાથી નહીં, પરંતુ આપણા પાત્રો ધીમે ધીમે કેવી રીતે બદલાય છે તેમાંથી. ઉપદેશો હંમેશા આપણા પોતાના હકારાત્મક કાર્યોમાં આનંદ કરવા પર ભાર મૂકે છે. તે યાદ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પ્રગતિ ક્યારેય રેખીય નથી. તે રોજેરોજ વધુ સારું થતું નથી. જીવનની વિશેષતાઓ માંથી એક એ છે કે આપણો મનોભાવ ઉપર અને નીચે થાય છે જ્યાં સુધી આપણે બધી અનિયંત્રિત રીતે પુનરાવર્તિત સમસ્યાઓથી સંપૂર્ણપણે મુક્ત ન થઈએ, જે એક અવિશ્વસનીય રીતે અદ્યતન સ્થિતિ છે. આપણે અપેક્ષા રાખવી જોઈએ કે આપણે ક્યારેક ખુશ અને ક્યારેક દુ:ખી અનુભવીશું. આપણે કેટલીકવાર સકારાત્મક રીતે કાર્ય કરી શકીશું અને અન્ય સમયે આપણી ન્યુરોટિક ટેવો વધુ શક્તિશાળી હશે. તે ઉપર અને નીચે જશે. ચમત્કારો સામાન્ય રીતે થતા નથી.

જીવનની આઠ ક્ષણિક બાબતોમાં અગવડતા ટાળવાની શિખામણો જો વસ્તુઓ સારી રીતે ચાલે તો અભિમાની અને જો તે બરાબર ન થાય તો હતાશ ન થવા પર ભાર મૂકે છે. એ જ જીવન છે. આપણે ટૂંકા ગાળાની અસરો નહીં પરંતુ લાંબા ગાળાની અસરો જોવાની જરૂર છે. જો આપણે પાંચ વર્ષથી અભ્યાસ કરીએ છીએ, ઉદાહરણ તરીકે, પાંચ વર્ષ પહેલાંની તુલનામાં ઘણી પ્રગતિ છે. ભલે આપણે ક્યારેક ઉદાસ થઈએ છીએ, જો આપણને લાગે કે આપણે શાંત, સ્પષ્ટ દિમાગ અને હૃદયથી પરિસ્થિતિઓને સાંભળવામાં સક્ષમ છીએ, તો તે દર્શાવે છે કે આપણે થોડી પ્રગતિ કરી છે. આ પ્રેરણાદાયી છે. તે નાટકીય નથી, જો કે આપણે તેને નાટ્યાત્મક બનવા ઈચ્છીએ છીએ અને આપણે નાટકીય પ્રદર્શનમાં ઉત્તેજિત થઈએ છીએ. તે સ્થિર પ્રેરણા છે.

વ્યવહારુ બનવું

આપણે તદ્દન વ્યવહારુ અને તર્કસંગત બનવાની જરૂર છે. જ્યારે આપણે શુદ્ધિકરણની પ્રથા કરીએ છીએ, દાખલા તરીકે, તેને કોઈ બાહ્ય વ્યક્તિ, એક મહાન સંત, આપણા પાપોની માફી આપનાર તરીકે ન વિચારવું મહત્વપૂર્ણ છે. બૌદ્ધ ધર્મમાં, એવા કોઈ સંતો નથી જે આપણને બચાવે અને શુદ્ધિકરણ માટે આશીર્વાદ આપે. તે પ્રક્રિયા બિલકુલ નથી. જે આપણને શુદ્ધ કરે છે તે હકીકતમાં એ છે કે આપણું મન કુદરતી રીતે શુદ્ધ છે. તેઓ સ્વાભાવિક રીતે મૂંઝવણ દ્વારા ડાઘેલા નથી; મૂંઝવણ દૂર કરી શકાય છે. આપણા પોતાના પ્રયત્નો દ્વારા મનની કુદરતી શુદ્ધતાને ઓળખીને આપણે અપરાધ, નકારાત્મક સંભાવનાઓ વગેરેને છોડી શકીએ છીએ. તે શુદ્ધિકરણ પ્રક્રિયાને કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે.

વધુમાં, આ બધી પ્રથાઓ કરવા અને બૌદ્ધ ઉપદેશોને આપણા રોજિંદા જીવનમાં મૂકવાનો પ્રયાસ કરતી વખતે, આપણે જે સ્તર પર છીએ તેને ઓળખવાની અને સ્વીકારવાની જરૂર છે. એ મહત્વપૂર્ણ છે કે આપણે વરણાગિયું ન થઈએ અથવા કે એવું ન લાગવું જોઈએ કે આપણે અત્યારે છીએ તેના કરતા ઉચ્ચ સ્તરે હોવા જોઈએ.

કેથોલિક પૃષ્ઠભૂમિમાંથી બૌદ્ધ ધર્મનો અભિગમ કરવો

દાખલા તરીકે, બૌદ્ધ ધર્મમાં રસ લેનારા કેટલાક લોકો કેથોલિક પૃષ્ઠભૂમિમાંથી આવી શકે છે. જો તે આપણો કિસ્સો હોય, તો પછી જેમ જેમ આપણે બૌદ્ધ ધર્મને અભિગમ કરીએ છીએ અને ભણવાનું શરૂ કરીએ છીએ, આપણે એવું અનુભવવાની જરૂર નથી કે આપણે કેથોલિક ધર્મ છોડી દેવાની અને બૌદ્ધ ધર્મમાં રૂપાંતરિત થવાની જરૂર છે. જો કે, બે પ્રથાઓને મિશ્રિત ન કરવી મહત્વપૂર્ણ છે. આપણે ચર્ચમાં બેસતા પહેલા વેદીને ત્રણ પ્રણામ કરતા નથી. તેવી જ રીતે, જ્યારે આપણે બૌદ્ધ પ્રથા કરીએ છીએ, ત્યારે આપણે વર્જિન મેરીની કલ્પના કરતા નથી, આપણે બુદ્ધની કલ્પના કરીએ છીએ. આપણે દરેકને વ્યક્તિગત રીતે અભ્યાસ કરીએ છીએ. જ્યારે આપણે ચર્ચમાં જઈએ છીએ, ત્યારે આપણે ફક્ત ચર્ચમાં જઈએ છીએ; જ્યારે આપણે બૌદ્ધ ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણે બૌદ્ધ ધ્યાન કરીએ છીએ.

ત્યાં ઘણી સામાન્ય લાક્ષણિકતાઓ છે, જેમ કે પ્રેમ પર ભાર મૂકવો, અન્યને મદદ કરવી વગેરે. મૂળભૂત સ્તર પર કોઈ વાદવિવાદ નથી. જો આપણે પ્રેમ, દાન અને અન્યને મદદ કરીએ છીએ, તો આપણે એક સારા કેથોલિક અને સારા બૌદ્ધ બંને છીએ. છેવટે, જો કે, આપણે પસંદગી કરવી પડશે, પરંતુ તે ત્યારે જ છે જ્યારે આપણે જબરદસ્ત આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરવા તૈયાર હોઈએ. જો આપણે કોઈ ઇમારતના ઉપરના માળે જઈ રહ્યા હોઈએ, તો આપણે એક જ સમયે બે દાદર ઉપર જઈ શકતા નથી - તે ખૂબ જ મદદરૂપ છબી છે. જો આપણે ફક્ત મૂળભૂત નીચલા સ્તર પર, લોબીમાં કામ કરીએ છીએ, તો સારું. આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી. આપણે બંનેમાંથી લાભ મેળવી શકીએ છીએ.

ખોટી જગ્યાએ વફાદારી ટાળવી

બૌદ્ધ ધર્મને આપણા જીવનમાં લાગુ કરવા માટે, આપણે આપણા મૂળ ધર્મોને ખરાબ અથવા હલકી ગુણવત્તાવાળા તરીકે નકારવા નહીં એના માટે સાવચેત રહેવાની જરૂર છે. તે એક મોટી ભૂલ છે. પછી આપણે કટ્ટર બૌદ્ધ અને કટ્ટર વિરોધી કેથોલિક બની શકીએ, ઉદાહરણ તરીકે. લોકો સામ્યવાદ અને લોકશાહી સાથે પણ તે કરે છે. ખોટી જગ્યાએ વફાદારી નામની મનોવૈજ્ઞાનિક મિકેનિઝમ કબજે કરે છે. આપણા પરિવારો, આપણી પૃષ્ઠભૂમિ વગેરે પ્રત્યે વફાદાર રહેવાનું વલણ છે, તેથી આપણે કેથોલિક ધર્મ પ્રત્યે વફાદાર રહેવા માંગીએ છીએ, જો કે આપણે તેને નકારી કાઢ્યું છે. જો આપણે આપણી પૃષ્ઠભૂમિ પ્રત્યે બેવફા હોઈએ અને તેમને ખરાબ તરીકે સંપૂર્ણપણે નકારીએ, તો આપણને લાગે છે કે આપણે સંપૂર્ણપણે ખરાબ છીએ. કારણ કે આ અત્યંત પ્રતિકૂળ છે, આપણે અભાનપણે આપણી પૃષ્ઠભૂમિમાં કંઈક શોધવાની જરૂરિયાત અનુભવીએ છીએ જેના પ્રત્યે આપણે વફાદાર રહી શકીએ.

આપણી પૃષ્ઠભૂમિના અમુક ઓછા-લાભકારી પાસાઓ પ્રત્યે અજાગૃતપણે વફાદાર રહેવાની વૃત્તિ છે. ઉદાહરણ તરીકે, આપણે કેથોલિક ધર્મનો અસ્વીકાર કરી શકીએ છીએ, પરંતુ આપણે બૌદ્ધ ધર્મમાં નરકનો મજબૂત ભય લાવીએ છીએ. મારી એક મિત્ર ખૂબ જ મજબૂત કેથોલિક હતી, બૌદ્ધ ધર્મ તરફ મજબૂત રીતે વળી, અને પછી અસ્તિત્વની કટોકટી આવી, “મેં કેથોલિક ધર્મ છોડી દીધો, તેથી હવે હું કેથોલિક નરકમાં જઈશ; પરંતુ જો હું બૌદ્ધ ધર્મ છોડી દઈશ અને કેથોલિક ધર્મમાં પછી જઈશ, તો હું બૌદ્ધ નરકમાં જઈશ!” જો કે તે રમુજી લાગે છે, તે ખરેખર તેના માટે એક ગંભીર સમસ્યા હતી.

આપણે ઘણીવાર અભાનપણે કેથોલિક ધર્મમાંથી અમુક વલણો આપણા બૌદ્ધ પ્રથામાં લાવીએ છીએ. સૌથી સામાન્ય છે અપરાધ અને ચમત્કારોની અને અન્ય લોકો આપણને બચાવવા આવશે તેની શોધ કરવી. જો આપણે અભ્યાસ ન કરીએ, તો આપણને લાગે છે કે આપણે અભ્યાસ કરવી જોઈએ, અને જો આપણે નહીં કરીએ, તો આપણે દોષિત છીએ. આ વિચારો બિલકુલ મદદરૂપ નથી. જ્યારે આપણે આ કરી રહ્યા છીએ ત્યારે આપણે તેને ઓળખવાની જરૂર છે. આપણે આપણી પૃષ્ઠભૂમિને જોવાની અને હકારાત્મક પાસાઓને સ્વીકારવાની જરૂર છે જેથી આપણે નકારાત્મક લક્ષણોને બદલે સકારાત્મકતા પ્રત્યે વફાદાર રહી શકીએ. "મને અપરાધ અને ચમત્કારની શોધ વારસામાં મળી છે," એવું વિચારવાને બદલે, આપણે વિચારી શકીએ કે, "મને પ્રેમ, દાન અને કમનસીબ લોકોને મદદ કરવાની કેથોલિક પરંપરા વારસામાં મળી છે."

આપણે આપણા પરિવારો વિશે પણ એવું જ કરી શકીએ છીએ. તેમની સકારાત્મક પરંપરાઓ પ્રત્યે સભાનપણે વફાદાર રહેવાને બદલે આપણે કદાચ તેમને નકારીને અજાણપણે તેમની નકારાત્મક પરંપરાઓ પ્રત્યે વફાદાર રહી શકીએ છીએ. જો આપણે સ્વીકારીએ કે, ઉદાહરણ તરીકે, તેઓએ આપણને આપેલી કેથોલિક પૃષ્ઠભૂમિ માટે આપણે ખૂબ જ આભારી છીએ, તો પછી આપણે આપણા ભૂતકાળ વિશે સંઘર્ષ કર્યા વિના અને આપણી પ્રગતિને સતત જોખમમાં મૂકતી નકારાત્મક લાગણીઓ વિના આપણા પોતાના માર્ગ પર જઈ શકીએ છીએ.

આની મનોવૈજ્ઞાનિક માન્યતાને સમજવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે. જો આપણે આપણા ભૂતકાળ વિશે વિચારીએ છીએ - આપણા પરિવારો, આપણા જન્મના ધર્મો, અથવા કઈપણ - નકારાત્મક તરીકે, આપણે આપણી જાત પ્રત્યે નકારાત્મક વલણ ધરાવીએ છીએ. બીજી બાજુ, જો આપણે આપણી પૃષ્ઠભૂમિ અને આપણા ભૂતકાળની સકારાત્મક બાબતોને સ્વીકારી શકીએ, તો આપણે આપણી જાત પ્રત્યે સકારાત્મક વલણ રાખવાની વૃત્તિ રાખીએ છીએ. તે આપણને આપણા આધ્યાત્મિક માર્ગોમાં વધુ સ્થિર રહેવામાં મદદ કરે છે.

સારાંશ

આપણે ધીમે ધીમે, એક એક પગલે આગળ વધવાની જરૂર છે. જ્યારે આપણે ખૂબ જ અદ્યતન ઉપદેશો વિશે સાંભળીએ છીએ અથવા વાંચીએ છીએ, જો કે ભૂતકાળના મહાન માસ્ટરોએ કહ્યું છે કે, "જેમ તમે કોઈ ઉપદેશ સાંભળો છો, તરત જ તેનો અમલ કરો," આપણે તે નક્કી કરવાની જરૂર છે કે કંઈક આપણા માટે ખૂબ જ અદ્યતન છે કે નથી અને કંઈક એવું છે કે જેની આપણે હમણાં અભ્યાસ કરી શકીએ છીએ. જો તે ખૂબ જ અદ્યતન છે, તો આપણે તેની અભ્યાસ કરવા સક્ષમ થવા માટે પોતાને તૈયાર કરવા માટે જે પગલાં લેવાની જરૂર પડશે તે સમજવા પડશે, અને પછી તે પગલાંને અનુસરવા પડશે. ટૂંકમાં, મારા શિક્ષકોમાંના એક, ગેશે નગાવાંગ ધારગ્યેય જેમ કહ્યું, “જો આપણે કાલ્પનિક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ, તો આપણને કાલ્પનિક પરિણામો મળે છે; જો આપણે વ્યવહારિક પદ્ધતિઓનો અભ્યાસ કરીશું, તો આપણને વ્યવહારુ પરિણામો મળશે."

Top